Thursday, 23 October 2014

મોદીએ દિવાળી સીયાચીનમાં જવાનો અને પુર પીડિતો સાથે ઉજવી

સીયાચીન ખાતે માઇનસ ૧૩ ડીગ્રી જેવી કાતીલ ઠંડીમાં સરહદનું રક્ષણ કરતા જવાનોને મળી તેઓનો ઉત્‍સાહ વધાર્યોઃ સમગ્ર દેશ તમારી સાથે હોવાનું જણાવ્‍યું: શ્રીનગરમાં પુર પીડિતો, હોટલ માલિકો, હાઉસ બોટ માલિકો, વેપારીઓ વગેરેને મળ્‍યાઃ રાહત કેમ્‍પની મુલાકાતઃ રાહત અને પુર્નવસન પેકેજ જાહેર થવાની શકયતા
મોદીએ દિવાળી સીયાચીનમાં જવાનો અને પુર પીડિતો સાથે ઉજવી

   
 થોડા દિવસ પહેલા જ ધરતીના આ સ્‍વર્ગ ઉપર પાણી પ્રલય બનીને આવ્‍યુ હતુ. પોતાની ખુબસુરતી માટે જાણીતી કાશ્‍મીર ખીણનો ચહેરો પુરે બગાડી નાખ્‍યો હતો. પુરથી એક લાખ લોકોના ઘર તુટી ગયા હતા અને ૧.પ૦ લાખ મકાનોને નુકસાન થયુ હતુ. એક લાખ લોકો તંબુમાં રહેવા મજબુર થયા હતા અને લગભગ છ લાખ લોકો આજે પણ બેઘર છે.  મોદીની આ મુલાકાતને રાજયમાં ભાજપની સ્‍થિતિ મજબુત બનાવવાની કવાયતના રૂપમાં જોવામાં આવે છે. અત્રે એ નોંધનીય છે કે લોકસભાની ચૂંટણીમાં ભાજપે જમ્‍મુ-કાશ્‍મીરની છ બેઠકોમાંથી ત્રણ બેઠકો મેળવી લીધી હતી. બાકીની ત્રણ બેઠક ગત એનડીએમાં તેના સાથી રહી ચુકેલ ટીડીપીને મળી હતી. ભાજપને આ બેઠક જમ્‍મુ, લેહલડાખ વિસ્‍તારમાં મળી હતી. જયારે કાશ્‍મીર ખાસ કરીને ખીણમાં તે પોતાની હાજરી નોંધાવવામાં નિષ્‍ફળ રહ્યુ હતુ.   નવી દિલ્‍હી તા.ર૩ : આજે દિવાળીનો દિવસ છે. વડાપ્રધાન નરેન્‍દ્ર મોદીએ દિવાળીનું પર્વ સીયાચીન સરહદે જવાનો સાથે અને કાશ્‍મીરમાં તાજેતરમાં આવેલા પુરથી પીડિત લોકો સાથે મનાવવાનું નક્કી કર્યુ છે અને તે સંદર્ભે આજે તેઓ સવારે સીયાચીન જવા રવાના થયા છે. ત્‍યાં તેઓ દિવાળીના દિવસે એટલે કે આજે માઇનસ ૧૩ ડીગ્રી ઠંડીમાં ત્‍યાં તૈનાત જવાનોને મળી રહ્યા છે અને તેમનો ઉત્‍સાહ વધારી રહ્યા છે. આજે સીયાચીન જતા પુર્વે તેમણે ટવીટ્‍ર ઉપર લખ્‍યુ હતુ કે, મિત્રો હું સીયાચીન જઇ રહ્યો છું. આ મારૂ સૌભાગ્‍ય છે કે, હું આજે આ ખાસ દિવસે જાંબાઝ સૈનિકો સાથે સમય વિતાવીશ. સીયાચીનમાં કેટલી મુશ્‍કેલી હોય છે તે સૌ કોઇ જાણે છે, દરેક પડકારોનો સામનો કરતા આપણા સૈનિકો આપણી માતૃભૂમિની રક્ષા કરે છે. ઉંચાઇ હોય કે, કડકડતી ઠંડી હોય આપણા જવાનો ફરજ બજાવે છે. આપણા રાષ્‍ટ્રની સેવામાં લાગેલા આ જવાનો આપણું ગૌરવ છે. હું સીયાચીન દરેક ભારતીયોનો સંદેશ લઇને જઇ રહ્યો છું કે અમે બધા સૈનિકો સાથે ખભે-ખભા મિલાવીને અમે તમારી સાથે ઉભા છીએ. સીયાચીન બાદ મેં નક્કી કર્યુ છે કે, હું શ્રીનગર જઇશ અને પુર પીડિતો સાથે સમય વિતાવીશ. વડાપ્રધાન નરેન્‍દ્ર મોદી કાશ્‍મીરના પુર પીડિતોનું દર્દ સમજવા અને તેઓની સાથે દિવાળી મનાવવા આજે શ્રીનગર પહોંચ્‍યા છે. એવી આશા છે કે, મોદી પુર પીડિતો માટે રાહત અને પુર્નવસનનું કોઇ પેકેજ જાહેર કરશે. આજે બપોરે શ્રીનગરના રાજભવન ખાતે તેઓ કેટલાક પુરપીડિતોને પણ મળી રહ્યા છે. સાથોસાથ તેઓ પુર રાહત કામની પ્રગતિની પણ વિગતો મેળવી રહ્યા છે. તેઓ બપોર બાદ કોઇ રાહત શિબિરની પણ મુલાકાત લેશે. સાંજે તેઓ દિલ્‍હી પરત ફરશે. પીએમ પદ સંભાળ્‍યા બાદ કાશ્‍મીરની આ તેમની ચોથી મુલાકાત છે. લોકોને પણ લાગે છે કે, પીએમ આવી રહ્યા છે એટલે તેમને માટે અચ્‍છે દિન આવશે. કાશ્‍મીરના મુખ્‍યમંત્રીને પણ લાગે છે કે, પીએમ કાશ્‍મીર માટે રાહતની ગીફટ લઇને આવ્‍યા છે.
   આજે વડાપ્રધાન મોદી રાજયપાલ એન.એન.વ્‍હોરા અને મુખ્‍યમંત્રી ઓમર અબ્‍દુલ્લાહને પણ મળી રહ્યા છે. તાજેતરમાં અબ્‍દુલ્લાહ દિલ્‍હીમાં મોદીને મળ્‍યા હતા અને રાજય માટે રૂ.૪૪,૦૦૦ કરોડનું પેકેજ માંગ્‍યુ હતુ. આજે મોદી હોટલ અને હાઉસ બોટના માલિકો અને વેપારીઓ સાથે પણ બેઠક યોજી રહ્યા છે. તેમની આ મુલાકાતને લોકોએ આવકાર આપ્‍યો છે. ભાજપના નેતાઓનું કહેવુ છે કે, મોદીજી લોકોની પીડાને સમજે છે અને મુશ્‍કેલીના સમયમાં તેઓ લોકોને ભગવાન ભરોસે રાખી દેવા માંગતા નથી.
   મોદીની મુલાકાતથી ભાગલાવાદી તત્‍વોને પેટમાં દુખાવો ઉપડયોઃ બંધનું એલાન
   શ્રીનગર : વડાપ્રધા નરેન્‍દ્ર મોદી આજે કાશ્‍મીરની મુલાકાતેઃ તેમની મુલાકાતનો ભાગલાવાદી તત્‍વો દ્વારા વિરોધઃ બંધનું એલાન આપ્‍યુઃ લોકો ખુશ છે પરંતુ ભાગલાવાદી તત્‍વોનો ભારે વિરોધઃ હુરિયત કોન્‍ફરન્‍સના પ્રમુખ મીરવાઇઝ ઉંમર ફારૂકે મુલાકાતને રાજકીય ગણાવી છે તો કટ્ટરપંથી ગિલાનીએ તેને સાંસ્‍કૃતિક હુમલો ગણાવ્‍યો છેઃ બંધને આંશિક સફળતા મળી હોવાનું જણાય છેઃ સમગ્ર કાશ્‍મીર ખીણમાં ચુસ્‍ત સુરક્ષા વ્‍યવસ્‍થા ગોઠવવામાં આવી.
   

0 comments:

Post a Comment

GIVE A COMMENT