Thursday, 23 October 2014

ભારત સામેની શ્રેણી માટે શ્રીલંકાની ટીમ જાહેર

કોલંબો,તા.૨૨
શ્રીલંકાએ ભારત સામેની વન ડે શ્રેણી માટેની ટીમની જાહેરાત કરી દીધી છે. મેથ્યૂસની આગેવાની હેઠળની ટીમમાં ગત સિરિઝમાં ઉપકપ્તાન રહેલા થિરિમાનેને સ્થાન આપવામાં આવ્યું નથી. આ ઉપરાંત ફાસ્ટ બોલર માલિંગાને પણ ટીમમાંથી હાંકી કાઢવામાં આવ્યો છે.
નવેમ્બરમાં પાંચ વન ડેની શ્રેણી રમવા માટે ભારત આવનારી શ્રીલંકાની ટીમમાં કેટલાક યુવા ખેલાડીઓને પણ અજમાવવામાં આવશે તે નિશ્ચિત છે. શ્રીલંકાની ટીમમાં નવા ચહેરા તરીકે લાહિરુ ગામાગેને તક મળી છે. તે પહેલી વખત રાષ્ટ્રીય ટીમમાં સ્થાન મેળવવામાં સફળ રહ્યો છે.
આ ઉપરાંત વિકેટકિપર બેટ્સમેન કુશલ પરેરા અને નિરોશન ડિકવેલા પણ બેટિંગની જવાબદારી સંભાળશે. લેફ્ટ આર્મ ઓલરાઉન્ડર ચતુરંગા ડી સિલ્વાને પણ ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે. વિન્ડિઝ પ્રવાસ અધૂરો છોડીને સ્વદેશ પરત ફરતાં ભારતે શ્રીલંકાને પાંચ વન ડે રમવા માટે બોલાવ્યું છે. જો કે ભારત આવનારી ટીમમાં વિકેટકિપર બેટ્સમેન ચાંદિમલ નહીં હોય. આ ઉપરાંત હેરાથ પણ ફિટનેસની સમસ્યાને કારણે ભારત પ્રવાસ ગુમાવશે.
થિરિમાનેને પડતો મુકવાનો નિર્ણય ભારે આશ્ચર્યજનક છે કારણ કે શ્રીલંકા છેલ્લી સિરિઝ પાકિસ્તાન સામે રમ્યું હતુ અને તે શ્રેણીમાં થિરિમાને વાઇસ કેપ્ટન હતો.
શ્રીલંકાની ટીમ ઃ મેથ્યૂસ, કે.પરેરા, દિલશાન, થારંગા, સંગાકારા, જયવર્દને, પ્રિયાંજન, ડિકવેલા, ટી.પરેરા, કુલાસેકરા, ડી.પ્રસાદ, ગામાગે, સી.ડી સિલ્વા, પ્રસન્ના, રણદિવ.

0 comments:

Post a Comment

GIVE A COMMENT